Skip to the content

Pathshala Invitation

પ્રણામ,

વિશ્વ કલ્યાણકર શ્રી મહાવીર ભગવાનના ચરણોમાં ભાવ પૂર્વક વંદન કરીએ.

દેવ, ગુરુ અને ધર્મની અસીમ કૃપા અને કરુણાથી, શ્રી મેલબર્ન શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા આયોજિત, અભંગદ્વાર પાઠશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.

શ્રી જિનશાસન અનુરાગી અને આપણા જ બાંધવ શ્રી દિપકભાઈ શાહ (બારડોલી) ની સંગાથે, આપણા રોજિંદા જીવનમાં ભગવંતના વચનોના તેજનો અનુભવ કરી, આપણું જીવન મંગળમય બનાવવાનો એક પ્રયાસ એટલે અભંગદ્વાર પાઠશાળા. અભંગદ્વાર એટલે જેના દ્વાર કયારેય બંધ ન થાય, એવી આ જ્ઞાનની પાઠશાળા; જેમાં વિદ્યાર્થી બનવા માટે આપણને બધાને પ્રભુએ આ એક અવસર આપ્યો છે.

ભગવાનની પરમ કરૂણાથી અને શ્રી સંઘ ઉપકારી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્ન સૂરિ મહારાજના આશીર્વાદ સહ, વર્ષ ૨૦૨૦ના સમય ગાળા દરમ્યાન શ્રી ધન્યકુમાર ચરિત્ર, શ્રી શ્રીપાળ અને મયણા સુંદરીજી નો રાસ અને શ્રી પર્યુષણા મહાપર્વના નિમિત્તને લઈ ભગવંતના વચનોના આંશિક પ્રદેશમાં આપણે પ્રવેશ કર્યો હતો અને એનો આનંદ પણ અનુભવ્યો હતો. આ આનંદ કાયમી બને અને રોજિંદા જીવનમાં એનો સતત અનુભવ થાય એને માટે શું કરવું એ વિચાર સાથે આ ઉપક્રમનો પ્રારંભ થયો.

આ સ્વાધ્યાયના વિષય તરીકે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્ન સૂરિ મહારાજના જીવનના અનુભવોના નિચોડ સ્વરુપે, એમણે રચેલ પાઠશાળા ગ્રંથ (મૂળ ૮૧ અંકો) તેમજ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત ૨૪ તિર્થંકર ભગવાનના સ્તવનો અર્થ સહિત આપણે ધારણ કરી શકીએ એવો એક ઉપક્રમ નક્કી કરેલ છે.

પૂજ્ય આચાર્ય ભગવંતે જે પ્રાકૃતિક પરિસરમા પ્રભુના વચનોનો સ્વાધ્યાય કેટલાક કલાકો સમય દરમ્યાન કર્યો હતો, એ જ પ્રાકૃતિક પરિસરમાં એ જ વટવૃક્ષ તળે આ સ્વાધ્યાયનું આયોજન થશે. અમારા પરમ સૌભાગ્યથી આ અપૂર્વ અવસરને આપ સહુના હૃદય સુધી પહોંચાડવાનો અવસર અમને સાંપડ઼્યો છે. આ પ્રભુવચનો અને પ્રભુભક્તિ જીવંત પ્રસારણથી (Live) આપના ઘર ઘરમાં પહોંચશે જે એક ઉત્તમ આલંબન પુરું પાડશે. પરમોપકારી પંચપરમેષ્ઠીના અનુગ્રહ અને આશિષથી, વિશ્વના અનેક દેશોમાં રહેલાં આપણે સહુ જૈનો, પરમ ઉમંગ અને ઉલ્લાસથી, આપણી ભૂમિકાએ શ્રેષ્ઠ રીતે, પ્રભુવચનો અને પ્રભુભક્તિના સથવારે, આતમને નિર્મળ કરીએ.

પૂજ્ય આચાર્ય ભગવંતે તેમના મંગળ ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “મારી શ્રી સંઘને વિનંતિ છે કે તપ અને ક્રિયાના ડાળી અને પાંદડાને ડોલો ભરીને પાણી પાયું, ચાલો, હવે જ્ઞાનના મૂળિયાને એકાદ લોટો જળ તો સીંચીએ.” એ જળ સીંચવા અને આપણું જીવન મંગળમય બને એ ભાવ માટે આપણા સૌનું અને આપ સૌનું હૃદયથી સ્વાગત છે.

આ જ્ઞાનપ્રાપ્તિના ઉપક્રમમાં કેવળ શ્રવણ નથી કરવાનું, પણ પ્રભુએ બતાવેલ પાંચ ચરણના આધારે સ્વાધ્યાય કરવાનો છે:
૧. વાચના – વિનયપૂર્વક ગ્રહણ કરવું
૨. પૃચ્છના – અંદરમાં જાગતા પ્રશ્નો પુછીને નિ:સંશય બનવું
૩. પરાવર્તના – વારંવાર સ્વાધ્યાય કરવો
૪. અનુપ્રેક્ષા – એના આધારે જગતના પદાર્થોનું ચિંતન કરવું
૫. ધર્મકથા – આ સ્વાધ્યાયના આધારે એવું જીવવાની કોશિષ કરવી.
આ પાંચે ચરણોનો સમન્વય એટલે અભંગદ્વાર પાઠશાળા.

જેને ભગવાનની નજરમા એક શ્રાવક બનવાના મનોરથ હોય, જેને પોતાના જીવનમાં આનંદનો સતત અનુભવ થાય એવી મનોરથ માળા હોય અને જેના હૃદયમાં જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના વચનો ઉપર બહુમાન-આદરભાવ હોય, એવા દરેક શ્રાવક/શ્રાવિકાઓ આ સ્વાધ્યાયમાં જોડાઈ શકશે

શ્રી મેલબર્ન શ્વેતામ્બર જૈન સંઘ ના સભ્યો, એમના હૃદયમાં રહેલ પ્રભુના શાસનની ભક્તિ અને જ્ઞાન પ્રત્યેની પ્રિતીને આધારે આ આખો ઉપક્રમ ઉત્તમ રીતે કઈ રીતે થાય એની ટેકનિકલ, પ્રેઝન્ટેશન અને એની લીંક એ બધું સરળતાથી અને સુગમતાથી કઈ રીતે પહોંચે એને માટે છેલ્લા કેટલાય દિવસોથી બધા મહેનત કરી રહ્યાં છે અને આપને આ પાઠશાળામાં જોડાવાનું ભાવભર્યું આમંત્રણ આપે છે. આપણે બધા આ જ દિશામાં પ્રમાદ વિના ગતિ કરીશું એ જ સંકલ્પ અને પ્રભુકૃપાએ પાર પામશું એ શ્રદ્ધાથી આપને આ સામૂહિક સ્વાધ્યાય અને પ્રભુભક્તિમાં જોડાવા વિનમ્ર આમંત્રણ છે.

જ્ઞાનપંચમી (વિ. સ. ૨૦૭૮, કારતક સુદ ૫, –મંગળવાર, ૯ નવેમ્બર ૨૦૨૧) ના પવિત્ર દિવસે આનો મંગળ પ્રારંભ કરીએ અને પછી મહિનામાં ઓછામાં ઓછું એક વખત ભારતના સમય મુજબ સવારે ૭ થી અંદાજિત ૧૦ સુધીના સમય દરમ્યાન, આપણી ભીતરમાં રહેલ ઉત્તમતાને પોંખવા, આપણી ઉત્તમતાને બહાર નિખાર કરવા આપણે સાથે મળી આ સ્વાધ્યાય કરીએ.

અભંગદ્વાર પાઠશાળામા જોડાવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે અને આગામી પાઠશાળાની વિગતો જેમણે રજીસ્ટ્રેશન કર્યું હશે એમને જ મોકલવામાં આવશે.

પ્રકૃતિ એ આપેલા આ શબ્દો જણાવે છે કે અભંગદ્વાર પાઠશાળામાં જવાનું એટલે ક્યાં જવાનું? શું મેળવવા જવાનું? અને આપણે શું લઈને જવાનું?

હૈયામાં બહુમાન ભરીને, જ્ઞાન તણાં વિનયને ધરીને,
જીવનને મંગળમય બનાવવા, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા
પ્રભુ વચનોના નિર્મળ જળમાં, ગુરુ ચરણોના નિર્મળ પથમાં
આતમને ઉજાગર કરીએ, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા
ચાલો જઇએ, ચાલો જઇએ, ચાલો જઇએ, અભંગદ્વાર પાઠશાળા......

With the blessings of Dev, Guru, and Dharma, we are pleased to extend a warm welcome to the Abhangdwar Pathshala, a new initiative by Shri Melbourne Shwetambar Jain Sangh under guidance of Shri Jinshaasan Anuragi and our brother Shri Deepakbhai Shah (Bardoli).

Abhangdwar Pathshala means a religious school whose doors will never close; In which the Shri Tirthankar Prabhu has given us the opportunity to become students.

Initially, the curriculum will include
1. Swadhyay on “Pathshala Granth” written by Acharya Bhagwant Shri Pradyumna Suri Maharaja
2. To recite stavans, learn & understand the meaning of Stavan of 24 Tirthankar Prabhu (Stavan Chovisi) written by Mahopadhyay Yashovijayji Maharaja.

The Swadhyay will be held under the same banyan tree where Acharya Bhagwant did Swadhyay over many hours. We intend to deliver these Swadhyay sessions to ALL Jain families across the globe via online sessions using Zoom & YouTube.

Every individual who has the desire to be a Shravak/Shravika according to Jainism principles & values, who has great respect for the knowledge (Gyan), is welcome to join this Pathshala.

Shri Melbourne Shwetambar Jain Sangh is pleased to invite you to join this Swadhyay and Prabhu Bhakti sessions – Abhangdwar Pathshala.

The first session of the Swadhyay will commence on the holy day of Gyanpanchami (Kartak Sud 5, Tuesday, 9 November 2021) 7:00 AM (sharp) to 10:00 AM (estimated) India time and then at least once a month every month thereafter.

Registration is required to join Abhangdwar Pathshala and the session details of the Swadhyay will be sent only to those who have registered.